30/01/2026
તા. ૨૭/૦૧/૨૦૨૬ ના રોજ બપોરે ૩ વાગ્યાથી સાંજે ૫:૩૦ વાગ્યા સુધી ભારત વિકાસ પરિષદ, સોમનાથ શાખા અને જીલ્લા શિક્ષણ વિભાગ, ગીરસોમનાથના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ અને વાલીઓ માટે એક પ્રેરણાત્મક વ્યાખ્યાનનું વેરાવળ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી હિતેશભાઈ વિઠલાણી, પ્રમુખશ્રી ભારત વિકાસ પરિષદ, સોમનાથ શાખા, ડોક્ટર સંજયભાઈ પરમાર, પ્રમુખ શ્રી, ભારતીય જનતા પાર્ટી, ગીર સોમનાથ જિલ્લો, શ્રી એમ.પી.બોરીચા સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, ગીરસોમનાથ, આજના મુખ્ય વક્તા શ્રી નેહલબેન ગઢવી, શ્રી કલ્પેશભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી, ભારત વિકાસ પરિષદ, સોમનાથ, શ્રી રાજેશભાઈ ડોડીયા તથા શ્રી સંજયભાઈ ડોડીયા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, ગીર સોમનાથ જિલ્લો, શ્રી નિલેશભાઈ ઉનડકટ, સચિવ શ્રી, ભારત વિકાસ પરિષદ, સોમનાથ શાખા દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
સંસ્થાના કાર્યકારી પ્રમુખશ્રી હિતેશભાઈ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો,શાળાસંચાલકો,આચાર્યશ્રીઓ,શિક્ષકો અને વાલી ઓનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બોરીચા સાહેબે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ હમેશાં ખુબ જ સંવેદનશીલ રીતે વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારના પ્રકલ્પ કરે છે. ભાર વગરના ભણતર માટે સરકારી સંસ્થા કાર્યરત છે. બાળકોએ જ્યાં સુધી તેમના પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી શિક્ષકોને પૂછવું જોઈએ. તેમને યોગ્ય માર્ગદર્શન મળશે તેની ખાતરી આપી હતી અને સંસ્થાના આ પ્રયાસને બિરદાવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમમાં 1600 વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોની હાજરી હતી, જે ખુબજ ઉત્સાહ જનક હતી. જેના માટે AEI DEO OFFICE ના શ્રી પી.એચ.ચાવડા, શ્રી યીગેશભાઈ ચાવડા સહિતના અધિકારીઓ તેમજ ભારત વિકાસ પરિષદના સદસ્યોએ દરેક સ્કૂલોની મુલાકાત લઈ સંકલન કર્યું હતું.
હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં બાળકો અને વાલીઓ બોર્ડની પરીક્ષાના સમયે એક અલગ પ્રકારનો કાલ્પનિક તણાવ અનુભવે છે અને ક્યારેક આવા વિદ્યાર્થીઓ અજુગતા પગલાં ભરી લે છે તેવા સમયે જો યોગ્ય માર્ગદર્શન મળે તો તેને અટકાવી શકાય છે.
આવા ઉમદા વિચારથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ખાસ સેમિનાર આયોજિત કરવામાં આવ્યો. જેમાં ગુજરાતના ખ્યાતનામ
મોટીવેશનલ સ્પીકર, લેખિકા, સામાજિક કાર્યકર એવા શ્રી નેહલબેન ગઢવી દ્વારા બાળકોને બહુ આયામી પ્રેરણાત્મક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે બાળકોને ખૂબ જ સરળ શૈલીમાં કહ્યું કે, જીવનમાં પરીક્ષાઓ તો આવ્યા જ કરવાની, જીવન એક પરીક્ષા જ છે તેમાં આપણે પોતાની જાત પર ભરોસો રાખવો ખુબજ જરૂરી છે. લોકો શું કહે છે તેનો વિચાર જ કરવાનો થતો નથી અને એવા ડિમોટિવેટ કરતા વિચારો માટે તેમણે "ઇગ્નોરાય નમઃ" નું સૂત્ર આપ્યું હતું.વધુમાં જણાવ્યું કે, જ્યારે પણ નબળા કે હતાશ કરતાં વિચાર આવે ત્યારે તુરંત સૌપ્રથમ તમારી માતાને અથવા તમારા નજીકના લોકોને તેના વિશે જણાવો. આ જગતમાં કોઈપણ સમસ્યા એવી નથી કે તેનો ઉકેલ ન હોય. દરેક વાતમાં પૂર્ણવિરામ મૂકવાને બદલે નવી શરૂઆત સમજીને આગળ વધવું જોઈએ.
પરીક્ષાઓ નજીક આવે છે ત્યારે તમારો સ્ક્રીન ટાઈમ સાવ ઓછો કરી નાખવો અને એકાગ્ર મન રાખી ભણવામાં અને જો ના સમજાય તો તેની ચર્ચામાં જ રચ્યાં રહો, જરૂરથી સારું પરિણામ મળશે. મોબાઇલ તમારી એકાગ્રતા ભંગ કરે છે માટે જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ.
સચિવ શ્રી નિલેશભાઈ ઉનડકટ દ્વારા પોતાના પ્રાસંગિકમાં ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગાન કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.