27/06/2026
વિદ્યાદાન અભિયાન અંતર્ગત 594 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ નોટબુકનું વિતરણ
માનવ સેવા ટ્રસ્ટ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે વિદ્યાદાન અભિયાન અંતર્ગત સાણંદ તાલુકાની 25 સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા આશરે 594 જેટલા જરૂરિયાતમંદ, અનાથ તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ફુલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ માટેનો ખર્ચ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડના એચ.આર.વિભાગ, સેન્ટ્રલ ઓફિસ, પાવરટ્રેઇન શોપ, ટેક્નિકલ સર્વિસ, ફાઇનાન્સ, પેઇન્ટ શોપ તથા કસ્ટ સપોર્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે ડોનેશન એકત્રિત કરીને ઉઠાવવામાં આવ્યો હતો. કંપનીના કર્મચારીઓએ માત્ર આર્થિક સહયોગ જ નહીં પરંતુ દરેક શાળામાં વ્યક્તિગત રીતે હાજર રહી વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરીને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને અમલીકરણ સાણંદ બી.આર.સી. ભવનના માર્ગદર્શન અને સહયોગ હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં તાલુકાનું એકપણ જરૂરિયાતમંદ બાળક શૈક્ષણિક સહાયથી વંચિત ન રહે તે માટે વધુ વ્યાપક આયોજન હાથ ધરવામાં આવશે.
આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે આવા પ્રયાસોથી વાલીઓ પર બાળકોના શિક્ષણ સંબંધિત ખર્ચનો બોજો હળવો બનશે તેમજ બાળકોને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી સરળતાથી ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે મનુભાઈ બારોટ, ચેરમેન, માનવ સેવા ટ્રસ્ટએ જણાવ્યું હતું કે, સંસ્થા આગામી સમયમાં 10,000થી પણ વધુ નોટબુકનું વિતરણ કરવાનો સંકલ્પ ધરાવે છે, જેથી આર્થિક સંજોગોના કારણે શિક્ષણથી વંચિત રહેતા અથવા શાળા છોડવા મજબૂર બનતા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્ય પ્રવાહમાં જોડાવી શકાય.
વિદ્યાદાન અભિયાન અંતર્ગત હાથ ધરાયેલો આ પ્રયાસ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સ્થાનિક શિક્ષણજગત, વાલીઓ અને ગ્રામજનો દ્વારા આ અનોખી પહેલને વ્યાપક આવકાર અને પ્રશંસા મળી રહી છે.