25/09/2024
અમૃતધારા- કનુભાઈ આચાર્ય
શ્રી કે.જી વણઝારા ગીતા વાંચે છે; ગાય છે;તેમ નહીં જીવે છે .
પૂજાખંડમાં, પૂજાના વસ્ત્રોમાં શ્રી કે.જી વણઝારા સાહેબે અમને મળવા બોલાવ્યા. જાણે ઋષિના આશ્રમમાં આવ્યા હોઈએ ! ગીતાના ચોથા અધ્યાય - જ્ઞાનકર્મસંન્યાસ યોગના કર્મયોગ, યજ્ઞયોગ અને સંન્યાસયોગને વર્ણવતાં શ્લોકોના ગાનથી તેમણે અમારું સ્વાગત કર્યુ. અને ૩૮ મા શ્લોકથી સમાપન કર્યું. તેનું પ્રથમ ચરણ છેઃ-
ન હિ જ્ઞાનેન સદશં પવિત્રમિહ વિધતે - ને આ ચરણ દ્વારા આ સંસારમાં જ્ઞાનથી શ્રેષ્ઠ બીજુ કાંઈ નથી;. તેવું પ્રતિપાદિત કર્યું. કેવળ ગાન કે શબ્દોથી નહીં; તેમણે કર્મથી, સંસ્કારથી, વિદ્યાભ્યાસથી અને તપ દ્વારા જ્ઞાનની ઉત્કૃષ્ટતાને સિધ્ધ કરી છે.
વણજારા જાતિમાં જન્મેલા તેમણે સરકારમાં તળેટીથી શિખર સુધીની યાત્રા કરી છે. વણઝારા સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગમાં આવે છે ;ને સરકારમાં તમામ ર૬ વિભાગોમાં કારકુનથી માંડીને અધિક સચિવ તરીકે એક યા બીજા સ્વરૂપે હોદા ધારણ કરેલા છે. નિયામક વિકસતી જાતિ અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં અધિક સચિવ તરીકે કાર્ય કર્યું છે. જે જાતિમાં જન્મ થયો તે જ જાતિઓના વિભાગમાં ઉચ્ચ હોદા પર પહોંચ્યા. એવું તો અનેક અધિકારીઓના જીવનમાં બન્યુ હશે. પણ શ્રી કે.જી વણઝારા અલગ માટીના માણસ છે. પોતાની સ્થિતિ અને જાતિ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોવાને કારણે તેમણે ગીતાના અગિયારમાં અધ્યાયને આત્મસાત કરી, આ જાતિઓને અને પોતાની ફરજને દિવ્ય દ્રષ્ટિથી જોઈ છે. તેમને આખી ગીતા કંઠસ્થ છે અને દિવ્ય દ્રષ્ટિના આધ્યાત્મિક રહસ્યથી તેઓ અવગત છે ઃ ગીતા વાંચે છે, ગાય છે તેમ નહીં, ગીતાને જીવે છે.
ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે - અર્જુન તું દિવ્ય દ્રષ્ટિથી આ જગતને નિહાળ. વણઝારા સાહેબના અંતર સત્વે કહ્યું, તું દિવ્ય દ્રષ્ટિથી તારી ફરજને નિભાવ. જ્યાં અને જેમને માટે ફરજ બજાવવાની હતી તેવા પછાત વર્ગોના પરિપત્રો કર્યા એટલે અચ્યુતમ્ કેશવમ્ થઈ ગયું તેમ નહીં. ઃ આ પછાતવર્ગોની ઉત્પત્તિ, તેમનું સમાજમાં સ્થાન, વેદોમાં, પુરાણોમાં, મધ્યકાલીન યુગથી સાંપ્રત સમય સુધીની તેમની પરિસ્થિતિ આ બધાનો તેમણે "તલસ્પર્શી અભ્યાસ" કર્યો. આપણે ગમે તે શબ્દ ગમે ત્યાં વાપરતાં હોઈએ છીએ. "તલસ્પર્શી અભ્યાસ "શબ્દ વાપરવો હોય તો શ્રી કે.જી વણઝારા માટે બેધડક વાપરી શકાય. તેમણે ભારતની ૭૦૦૦ જાતિઓ અને ગુજરાતના તમામ વર્ગોની જાતિઓના ઈતિહાસનો અભ્યાસ કર્યો. હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મશાસ્ત્રોનું અવગાહન કર્યું છે. અને તેના દોહન રૂપે અઢળક લખ્યું છે ઃ
ગુજરાતનાં પછાત વર્ગો ઈતિહાસ અને અસ્મિતા, સામાજિક, શૈક્ષણિક તેમજ અન્ય પછાતવર્ગ ( એસ.ઈ.બી.સી. અને ઓ.બી.સી ) ની સમસ્યાઓ અને સમાધાન એ વિષય ઉપરના દસ મહાગ્રંથો તેમણે લખ્યા છે. એ તમામ જાતિની, તેમના નામની વ્યુત્પત્તિ અનેક સંદર્ભોથી તેમણે કરી છે. મૂળ સંસ્કૃત શબ્દો, તેના અર્થો ,ભગવદ્ ગૌમંડલમાં જાતિના વિવિધ અર્થો ,વિગેરે.ઘણા બધા ગુજરાતનાં મુખ્યમંત્રીઓના કાર્યકાળમાં મહત્વની જવાબદારી સંભાળતાં હજારો ગ્રંથો કેવી રીતે વાંચ્યા હશે ? ને આ બધી નોંધો ઉતારી હશે ? આ બધી જાતિઆનો વ્યવસાય, પહેરવેશ, ભાષા, રિવાજો, વ્યવહાર, જીવનની આગવી શૈલી માન્યતાઓ, તેમના દેવો- દેવતાઓ - દેવીઓ અંધશ્રદ્ધા, વહેમો, કોઈપણ જાતિ વિશે આટલી સમગ્રતાથી ભાગ્યે જ કોઈએ લખ્યું હશે.
દેશમાં જાતિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે. ભારતનો ઈતિહાસ, સમાજ વ્યવસ્થા, અને વર્ણવ્યવસ્થા જોતાં જાતિઓની નાબુદી શક્ય નથી .પરંતુ જાતિવાદને નાબુદ કરી શકાય તેમ છે. આ ગ્રંથમાળા લખવાનો મારો આશય વર્ણવાદ અને જાતિવાદમાંથી બહાર નીકળવું તે છે. તેમ તેઓ જણાવે છે.
તેઓ પોતાની કેફિયતમાં જણાવે છે કે- સન ર૦૧૪માં હું નિવૃત્ત થયો પછી સર્વોચ્ય અદાલત અને વડી અદાલતમાં વકીલાત શરૂ કરી ,ત્યારે મારો વિચાર હતો કે મારે ગુજરાતની એસઈબીસી અને વિચરતી - વિમુક્ત જાતિઓનો ઈતિહાસ લખવો. જેથી આ જાતિઓનો ઈતિહાસ, અસ્મિતા, અધિકારો, સમસ્યાઓ અને તેનાં સમાધાન પ્રત્યે સરકાર અને સરકારી અધિકારીઓનું ધ્યાન દોરી શકાય :અને નાની- નાની સમસ્યાઓનું સરળતાથી સમાધાન થઈ શકે.
તેમને ગુજરાત અને ભારતના અનેક એવોર્ડો પ્રાપ્ત થયા છે. પણ મને લાગે છે કે યુનિવર્સિટિઓએ તેમને એક નહીં; અનેક માનદ ડૉક્ટરેટની ડિગ્રીઓ આપવી જોઈએ. વિચરતિ વિમુક્ત અને પછાત જાતિઓ અશિક્ષિત છે ઃ એ તો શું આપી શકે ? પણ વણઝારા સાહેબે જે કામ કર્યું છે અને તેમને મેં જે કામ કરતા જોયા છે ઃ તે માટે એક ઉદાહરણ રજૂ કરવું ગમશે.
એક જગ્યાએ મંદિરનું કાર્ય ચાલતું હતું. કેટલાક શિલ્પીઓ પથ્થર ઉપર મૂર્તિ કંડારી રહ્યા હતા. એક બુદ્ધિજીવી આવ્યો. એક શિલ્પીને તેણે પૂછયું ,"શું કરો છો ? "
પથરા તોડીએ છીએ અને પેટ ભરીએ છીએ.
બીજા શિલ્પીને પૂછયું. ત્યારે તેણે કહ્યું - "પથ્થર ઘડીએ છીએ ને મૂર્તિ બનાવીએ છીએ". ત્રીજા શિલ્પીને પૂછયું. તેણે કહ્યું - "આ પથ્થરમાં મારો ભગવાન છૂપાયો છે. તેને બહાર લાવવાનું કામ કરું છું. પુજા કરું છું. "
પહેલો શિલ્પી કામને વેઠ સમજતો હતો. બીજો શિલ્પી કામને ફરજ સમજતો હતો. ત્રીજો શિલ્પી કામને પૂજા સમજતો હતો. નૂતન ભારતી મડાણાના નિયામક ર્ડો. કનુભાઈ વોરા અને વિચરતી જાતિઓ માટે કર્મશીલ ઈશ્વરભાઈ રાવળ અમને ત્રણેને પૂજા ખંડમાં એટલે તેમણે બોલાવ્યા હશે. ??
૦૦૦