01/04/2026
કોલે જ વાત થઈ કે પોલીસ નું કામ આરોપી ને પકડવાનું અને કોર્ટ સમક્ષ રજૂ કરવાનું છે, કોઈપણ નાની કે મોટી સજા આપવાનું કામ ફક્ત ને ફક્ત કોર્ટ નું છે.
ઉત્કૃષ્ટ કામગીરી કરનારને અત્યાચાર કરવાનો પરવાનો મળી જતો નથી!
યૂટ્યુબર જ્યોત્સ્ના આહિર સાથે 31 માર્ચ 2026ના રોજ ‘પોલીસ આરોપીને/ નાગરિકને સજા કરી શકે?’ એ વિષય પર ઓનલાઇન ઈન્ટરવ્યૂ થયો.
જ્યોત્સ્ના: “હાલ તો એવું લાગે છે કે કોર્ટ હવે બંધ થઈ જશે! પોલીસ સ્ટેશન જ કોર્ટનું કામ કરે છે, શિક્ષા કરવાનું કામ કરે છે. પોલીસ બર્બરતાપૂર્વક મારઝૂડ કરે છે. ફેક્ચર કરે છે. નગ્ન કરે છે, પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ નાખે છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના DCP જગદીશ બાંગવાન અને સુરેશભાઈ વડેચા વચ્ચેની ઘટનાથી ઊહાપોહ થયો છે. શું પોલીસ સજા કરી શકે?”
જવાબ: “પ્રથમ તો સુરેશભાઈ આરોપી ન હતા. આ કિસ્સામાં સુરેશભાઈ સામે CrPC કલમ-151 હેઠળની કાર્યવાહી પોલીસે કરેલ. તેથી સુરેશભાઈ આરોપી નહીં પણ સામાવાળા હતા. 151 હેઠળની કાર્યવાહી ગુનો નથી, માત્ર અટકાયતી પગલું છે. સુરેશભાઈ સામે માત્ર અરજી થઈ છે. સારી ચાલ ચલગતનાં જામીન લેવાની આ કાર્યવાહી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ મારઝૂડ કરી શકે નહીં. સેશન્સ કોર્ટ/ હાઈકોર્ટ/ સુપ્રીમ કોર્ટ ફાંસીની સજા કરી શકે છે, પરંતુ પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ નાખવાની સજા ન કરી શકે. કાયદાથી નક્કી કરેલી સજા જ કોર્ટ કરી શકે છે. પોલીસ આવી કે બીજી કોઈ સજા કરી શકે નહીં. સુરેશભાઈએ બળાત્કાર કર્યો નહતો, હત્યા કરી ન હતી, કરોડો રુપિયાની છેતરપિંડી કરી નહતી, તે આતંકવાદી ન હતા. કોઈ ગંભીર ગુનો કર્યો નહતો. 151ની કાર્યવાહીમાં અમાનવીય/ અમાનુષી કૃત્ય થાય, તે ખરેખર કોગ્નિજન્સ લેવાનો મુદ્દો છે. આ કોગ્નિજન્સ જાગૃત નાગરિકોએ લેવું જોઇએ, મીડિયાએ લેવું જોઇએ, પોલીસના સિનિયર અધિકારીઓએ લેવું જોઇએ, સરકારે, હ્યુમન રાઇટ્સ કમિશને અને હાઇકોર્ટે લેવું જોઇએ. આમાંના કોઈએ કોગ્નિજન્સ લીધું નથી, જે શંકા પ્રેરે છે. પોલીસને સજા કરવાની સત્તા નથી, આ કામ કોર્ટનું છે. કોર્ટ પણ કાયદાથી નક્કી થયેલી સજા જ કરી શકે, પેટ્રોલ નાંખવાની સજા તો કોર્ટ પણ ન કરી શકે. પોલીસે આવું શા માટે કરવું જોઈએ? જ્યારે પોલીસ પાસે પૂરતા કાયદાઓ છે, સત્તા છે, લોકઅપ છે, જેલ છે. પોલીસ ધારે તો તેને ગુંડા ધારા હેઠળ પકડી શકે છે. જો પોલીસ એક્ટિવિસ્ટને વગર કારણે વર્ષો સધી જેલમાં પૂરી શકે તો ગુંડાને ન પૂરી શકે? પોલીસ પાસે સત્તા છે એટલે આવું અમાનુષી વર્તન કરવાની કોઈ જરુર નથી.”
જ્યોત્સ્ના: “મીડિયાના કેટલાક મિત્રો આ ઘટનાને જુદી દિશામાં વાળી રહ્યા છે. હજુ તપાસ શરુ નથી થઈ, ત્યાં કેટલાંક પત્રકારોએ DCPને ક્લીન ચિટ આપી દીધી છે. કેમકે DCP બહુ બાહોશ છે/ બહાદુર છે/ પ્રામાણિક છે, મોટી મોટી ક્રિમિનલ ગેંગોને જેલમાં ધકેલી દીધી છે. આ રીતે, આ તપાસના તબક્કે ક્લીન ચિટ આપવી તે ઉચિત છે?”
જવાબ: “જૂઓ, આવું પ્રથમ વખત ચયું નથી. જ્યારે બળાત્કારી આશારામને જોધપુર પોલીસે અટક કર્યા ત્યારે બાબા રામદેવ/ VHPના નેતાઓ/ સુબ્રમણ્યમ સ્વામી જમણેરી મીડિયાએ આશારામને ક્લીન ચિટ આપી હતી! અને દલીલ કરતા હતા કે ‘આશારામ તો બહુ સારું કામ કરે છે, તેણે આદિવાસીઓને ખ્રિસ્તી થતાં બચાવ્યા છે! એટલે પોલીસ તેને કારણ વિના હેરાન કરે છે.’ એટલે સંત હોય તો પણ જ્યારે તેની સામે ગંભીર આરોપ લાગે ત્યારે તપાસ થવી જોઈએ. DCP સામે ગંભીર આરોપ છે ત્યારે તેની તપાસ કરવી જોઈએ. તેણે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે તેની ઢાલ નીચે બચાવ કરી શકાય નહીં. જે આક્ષેપ છે તેની મેડિકલ તપાસ થવી જોઈએ. મેડિકલ પુરાવાઓ મેળવવા જોઈએ, તપાસનું આ કામ બહુ અઘરું નથી. જે રીતે DCP પર આરોપો લાગ્યા એટલા માત્રથી તે દોષિત નથી, તે રીતે સુરેશભાઈ સામેની અરજીથી તે દોષિત ઠરી જતા નથી. DCP કેવા બહાદુર/ બાહોશ/ પ્રામાણિક છે, તેની પ્રશસ્તિ કરવાનો આ સમય નથી. આવું મીડિયા કરી શકે નહીં. DCPએ ગુંડાઓ સામે કડક કાર્યવાહી કરી તે સારી બાબત છે, પણ તે પોલીસની મૂળભૂત ફરજ છે. પોલીસને આ માટે સત્તાઓ આપવામાં આવી છે, એટલા માટે તેમને સવલતો અને પગાર આપવામાં આવે છે. જ્યારે DCP સામે અમાનુષી વર્તનના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે DCPની પ્રશસ્તિ કરી શકાય નહીં. જો પ્રશસ્તિ કરે છે તો માનવાનું કે દાળમાં કાળું છે! કંઈક બીજું છે. DCPએ પ્રશસ્તિ વાળું કામ કર્યું હશે તો રાષ્ટ્રપતિ તરફથી તેમને મેડલ ચોક્કસ મળશે, તે સમયે પ્રશસ્તિ કરી શકાય, હાલ નહીં. મીડિયામાં જે ખોટા નેરેટિવ ચાલતા હોય તે બાબતે માહિતી ખાતું/ પોલીસ કમિશનર કે તેમના જનસંપર્ક અધિકારી સ્પષ્ટતા કરશે. મીડિયાએ પ્રશસ્તિ કરવાની જરુર નથી. ઉત્કૃષ્ટ કામગીરી કરનારને અત્યાચાર કરવાનો પરવાનો મળી જતો નથી!”
જ્યોત્સ્ના: “આ દરમિયાન સમાચાર છે કે ‘પેટ્રોલની હાજરી મળી નથી.’ એટલે મીડિયા સુરેશભાઈ પર તૂટી પડ્યા. આ દરમિયાન સુરેશભાઈએ વીડિયો મારફતે સ્પષ્ટતા કરી છે કે ‘પેટ્રોલ બાબતે 24 કલાક દરમિયાન કે પછી સેમ્પલ લેવાયું જ નથી!’ આ અંગે શું કહેશો?”
જવાબ: “ગંભીર ઘટનાઓમાં જે તે વખતે સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા જોઈએ. સેમ્પલ તે સમયે લેવા જોઈએ. પછી ભોજન લીધું હોય, ટોયલેટ ગયેલ હોય તો પુરાવા ન પણ મળે. સુરેશભાઈ કહે છે કે પેટ્રોલ બાબતે કોઈ સેમ્પલ લીધું જ નથી. વિચારો, આ કિસ્સામાં પીડિત પોલીસ હોત તો? કેટલી ઝડપથી પુરાવા એકત્ર કર્યા હોત? આ કિસ્સામાં કેમ ત્વરિત પુરાવા એકત્ર કરવામાં ન આવ્યા? કેમકે આપણું તંત્ર હંમેશા આર્થિક/ સામાજિક/ રાજકીય/ ધાર્મિક રીતે જે પ્રભાવશાળી લોકો છે, તેના કંટ્રોલમાં છે. અને તેમની તરફેણમાં આપણું તંત્ર કામ કરે છે, નહીં કે સામાન્ય માણસની તરફેણમાં! સુરેશભાઈ સામાન્ય માણસ છે. એટલે તેમની તરફેણમાં ન સરકારી હોસ્પિટલ કામ કરે, ન પોલીસ કામ કરે, ન સરકાર કામ કરે, ન દરબારી મીડિયા કામ કરે. આ સ્થિતિમાં સામાન્ય માણસના હિતમાં પુરાવા એકત્ર કરવાની તાલાવેલી જોવા મળતી નથી. આ સૂચવે છે કે તંત્રને સામાન્ય માણસમાં કોઈ રસ નથી.”
જ્યોત્સ્ના: “શું ગુજરાતમાં અગાઉ કાયદો હાથમાં લેવાની કોઈ ઘટના બની હતી?”
જવાબ: “30 વરસ પહેલાં, 1996- 97માં, હાલે રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે. લક્ષ્મીનારાયણ રાવ જ્યારે રાજકોટમાં DCP હતા ત્યારે તેમણે બર્બરતા આચરી હતી. રાવે નાના ગુનાના 7 આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમની આંખોમાં ‘ટાઈગર બામ’ આંઝી દીધું હતું, જેથી સાતેય આરોપીઓની દષ્ટિ જતી રહી હતી!ફોરેન્સિક ટેસ્ટિંગમાં પણ ટાઈગર બામનો ઉપયોગ સાબિત થયો હતો. દ્રષ્ટિ ગૂમાવનારને કોઈ વળતર હજુ સુધી અપાયું નથી. ફરીથી આવું અમાનુષી કૃત્ય રાજકોટમાં જ થયું છે. આપણે એ જોવું જોઈએ કે સરકાર ખરેખર સંવેદનશીલ છે કે નહીં? પેટ્રોલના આ કિસ્સામાં પણ આપણે જોઈ શકીશું. આ બાબતે નેશનલ પોલીસ કમિશનના 8 રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટે રાજ્યોના ચીફ સેક્રેટરીને બોલાવીને ખખડાવ્યાં હતા. ન છૂટકે સરકારે ‘ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઈન ઓથોરિટી’ની રચના ગાંધનગર ખાતે કરી છે. જ્યાં પોલીસ અધિકારી સામે ફરિયાદ કરી શકાય છે. પરંતુ આ ઓથોરિટી કામ કરે છે કે નહીં, તેની કોઈને ખબર નથી. તેણે કેટલાં પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા સરકારને ભલામણ કરી? સરકારે પગલાં લીધાં? જો લીધાં હોય તો તેની લોકોને જાણ કરવી જોઈએ. જે મીડિયા DCPનો બચાવ કરે છે તેને પણ એ પ્રશ્ન થતો નથી કે પોલીસ કમ્પ્લેઈન ઓથોરિટી ચૂપ કેમ છે? સરકાર કેટલી બધી સંવેદન બધિર બની ગઈ છે, તે આપણે જોઈ શકીએ છીએ.” rs [વીડિયો લિંક કોમેન્ટમાં, 31 માર્ચ 2026]