17/08/2026
સરદારધામ ખાતે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવપૂર્ણ ઉજવણી સાથે “સમાજ સુરક્ષા કેન્દ્ર” અને “સરકારી સહાય યોજના માર્ગદર્શન કેન્દ્ર”નું થયું ઉદ્ઘાટન
ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની પાવન ઉજવણી નિમિત્તે સરદારધામ અમદાવાદ ખાતે રાષ્ટ્રભક્તિ, સમાજસેવા અને સમાજકલ્યાણને સમર્પિત ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને વંદન સાથે કરવામાં આવી હતી. આ ગૌરવપૂર્ણ ક્ષણે સરદારધામ કન્યા છાત્રાલયના ભુમિદાતાશ્રી કૃપેશભાઈ ગાજીપરા તેમજ કન્યા છાત્રાલય વીંગદાતાશ્રી ગોપાલભાઈ પટેલ -કડીના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવતા સરદારધામ દ્વારા સમાજહિતલક્ષી બે નવી પહેલો “સમાજ સુરક્ષા કેન્દ્ર” અને “સરકારી યોજના માર્ગદર્શન કેન્દ્ર” નું વિધિવત્ ઉદ્ઘાટન ટીમ સરદારધામ હોદ્દેદારોના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમ દ્વારા સમાજના વિવિધ વર્ગોને સરકારી યોજનાઓ, સહાય અને સુરક્ષા સંબંધિત માર્ગદર્શન સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો મહત્વપૂર્ણ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમને વધુ રાષ્ટ્રભક્તિમય બનાવવા સરદારધામના દીકરા-દીકરીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરીને સૌમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરી હતી. ઉપરાંત દેશભક્તિના રંગે રંગાયેલા ગ્રુપ ડાન્સ તથા દેશભક્તિ ગીતોની રજૂઆતો કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની હતી.
આ પ્રસંગે સરદારધામના ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, GPBO -યુવા સંગઠન સભ્યો, અધિકારી મિત્રો અને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.