01/07/2026
*આને કહેવાય સેવા...*
"તમે કોઈને રોટલી આપો એને બદલે એને ઘઉં ઉગાડતા શીખવો એ વધું સાર્થક છે"
આ ખાલી કોઈ કહેવત નથી, પણ માણસને સ્વાવલંબી બનાવવાની ચાવી છે. આમ કરવાથી ખરા અર્થમાં લોકો આત્મનિર્ભર બનવાનું વચન પામી જશે. અને એક સમય એવો આવશે કે લોકો પોતાના કાંડાના બળે પથ્થર ફાડી ને પાણી કાઢવાની આવડતવાળા અને હિંમતવાળા બની જશે. ગાંધીજી પણ કહેતા કે, ' જે દિવસે લોકોને સહાયની જરૂર જ ન પડે, એ દિવસે એનો વિકાસ થયો કહેવાય...'
મનમાં આવો ભાવ રાખીને છેલ્લા એકાદ દાયકા જેટલા સમયથી "ડોક્ટર પંપ" પરિવાર રાજકોટ તરફથી ગુજરાતના અંતરિયાળ એવા ડાંગ જિલ્લાના હરપાળા ગામને દત્તક લીધું છે, અને એન કેન પ્રકારેય ગામના પ્રશ્નો ઉકેલીને ગામને સુખી, સમૃધ્ધ અને આત્મનિર્ભર બનાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવી રહયો છે.
આ વરસે પણ ગામમાં વસતા તમામ ખેડૂતો જેમ ૧૨૩ પરિવારોનો સમાવેશ થાય છે. તે તમામને એમની જમીન અને આવડતને અનુરૂપ આવે એવા ડાંગરનું બિયારણ ગત તા. ૧૯ જૂન શનિવારના રોજ વિનામૂલ્યે આપવામાં આવ્યું હતુ. આ વિતરણ સમારંભમાં હરપાળા ગામના લોકોને નસીબદાર ગણાવતા સેવાભાવી સંત શ્રી પી.પી. સ્વામીએ કહ્યું હતું કે, "પુરુષોતમ માસ ની સાધના પૂરી કર્યા પછી જાણે પરસોતમભાઈ કમાણી તરફથી આ બિયારણ મળ્યું હોય તો આ ખાલી બિયારણ નથી પણ આજે શનિવારે હનુમાન દાદાનો પ્રસાદ છે એવું સમજજો અને એ જ ભક્તિભાવથી આ બિયારણની વાવણી કરજો. તમારા વરસને સોળ આની કરવાનું કામ ભગવાન ઉપાડી લેશે."
શ્રીમતી સંતોકબેન વેલજીભાઈ કમાણી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ વતી દર વરસે વાવણીની સિઝન શરૂ થાય એ પહેલા હરપાળા ગામના તમામ ખેડૂતોને યુ. એસ., વી. એન. આર જેવી જાણીતી કંપનીઓનું બિયારણ આપવામાં આવે છે. જેમાં આ વરસે હરપાળા ગામના ૧૨૪ ખેડૂતોને ૧૦-૧૦ કિલો બિયારણ આપવામાં આવ્યું હતુ. આમ, કુલ ૧૨૩૦ કિલો બિયારણ ખરીદીને વિતરણ કરવામાં આવ્યું હતુ. આ બિયારણ ખરીદવામાં ગામલોકોએ પણ પોતાની ક્ષમતા મુજબ લોકફાળો એકત્ર કર્યો હતો અને જેમાંથી અમુક ભાગ ગામમાં મંદિરના વિકાસ માટે પણ ખર્ચવામાં આવશે.
પી.પી. સ્વામીજીએ આ પ્રસંગે લોકોને એવી ઉમદા વાત પણ જણાવી હતી કે, "ડોક્ટર પંપ તરફથી ગામને જે સામિયાના, વાસણનો સેટ આપવામાં આવ્યો છે તેમાંથી ગામને આવક શરૂ થઈ છે તે આવકના પૈસામાંથી ગામ માટે જ એક "ઈમરજન્સી ફંડ" તૈયાર કરવામાં આવે અને આ ફંડમાંથી ગામના લોકોમાં ક્યારેય પણ વ્યક્તિગત કે ગામની કોઈપણ બીમારી કે ઈમરજન્સી આવી પડે તો કોઈપણ અપેક્ષા વગર આ ફંડમાંથી મદદ કરવામાં આવે. એવું આયોજન થાય તો તમારા ગામમાંથી કોઈપણ કદી દુઃખી નહીં થાય.
આવું દાન ખરા અર્થમાં ઉપયોગી દાન છે.