18/11/2023
જય રઘુનાથજી...
આજના લાભપાંચમના પાવન પર્વ પર આપ સૌને ગુજરાત ક્ષત્રિય સભા વતી શુભકામનાઓ. વિક્રમ સંવંત 2080નું વર્ષ આપણા બધા માટે શુભ ફળદાયી નિવડે તેવી ભગવાન રામચંદ્રજીના ચરણોમાં પ્રાર્થના. આવનારા વર્ષમાં ક્ષત્રિય સમાજ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તે માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. વાડાઓમાં વહેંચાયેલા સમાજને એક જ સૂત્રમાં પરોવવા આપણે સૌનો સાથ અને સહકારની આવશ્યકતા છે. સમાજના ઉત્થાન માટે આપણે છેવાડાના પરિવારને પણ જોડવો પડશે. કારણકે, આજનો યુગ એ સંગઠનનો યુગ છે. જે સમાજ સંગઠિત છે તેની દરેક માગ પૂરી થાય છે. સમાજના વિકાસ માટે આપણે આગેવાનો તૈયાર કરવા પડશે. સમાજના હિતને ધ્યાનમાં રાખી કામ કરી શકે તેવા રાજનેતાઓ પણ તૈયાર કરવા પડશે. આ બધું શક્ય ત્યારે જ થઇ શકે જ્યારે આપણે સંગઠિત હોઈએ. જે આગેવાનો સમાજના ઉત્થાનમાં કાર્ય કરી રહ્યા છે તેમની આગેવાની સ્વીકારવી પડશે. કારણકે, સારો સેનાપતિ યુદ્ધને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. નવ વર્ષમાં આપણે કેટલાક સંકલ્પ કરવાની પણ જરૂર છે. સમાજમાં રહેલી બદીઓને તિલાંજલિ આપવી પડશે. વ્યસન, બુરી સોબત અને વિખવાદ જેવી બદીઓ સમાજના મજબૂત પાયામાં લુણો લગાડવાનું કામ કરે છે. આપણા પૂર્વજોએ આપણને જે વારસો અને સંસ્કાર આપ્યા છે તે આપણે આવનારી પેઢીઓ માટે સાચવીને રાખવાના છે. આપણો ગૌરવપૂર્ણ ઈતિહાસ અને પરંપરાને જીવંત રાખવા હવે જાગૃત થવું પડશે. સમાજના સારા ભવિષ્યના નિર્માણ માટે એકતા, સંસ્કાર અને શિક્ષણની તાતી જરૂરિયાત છે. કારણકે, વર્તમાન સમયમાં જો ટકી રહેવું હશે તો શિક્ષણ અતિઆવશ્યક છે. શિક્ષણ થકી સમાજના વિકાસ માટેના દ્વાર આપણે ખોલી શકીશું. શિક્ષણ હશે તો સમાજના પરિવારો સારી આવક મેળવશે અને સમાજ આગળ આવશે. નવ વર્ષ આપણે સૌ સાથે મળી સમાજ હિતના કાર્યમાં સહભાગી થઈએ. જય સોમનાથ...જય રઘુનાથજી...