26/07/2023
સ્મિતા મહોત્સવઃ પુસ્તક પ્રકાશન પ્રસંગે બધાં પ્રેમ અને આનંદમાં થયાં તરબતર
**
23મી જુલાઈ, 2023 રવિવારની સાંજ અમદાવાદના અનેક લોકો માટે યાદગાર બની ગઈ. સમાજઅગ્રણી, મનપસંદ મેરેજ બ્યૂરોનાં સ્થાપક, સંસ્કાર ક્લબનાં સ્થાપક તથા શૂન્યમાંથી સર્જન કરીને બૃહદ પરિવારને ઉપર ઉઠાવનારાં શ્રીમતી સ્મિતાબહેન શેઠના જીવન ચરિત્ર આધારિત પુસ્તક ધ માર્વેલશ મનપસંદ લેડી સ્મિતા શાહઃ પ્રેરણાત્મક પ્રસંગોનું આ દિવસે સાંજે પ્રેમથી છલકાતા માહોલમાં યાદગાર રીતે લોકાર્પણ થયું. કેળવણીકાર અને હાસ્યલેખક રતિલાલ બોરીસાગર, હાસ્યલેખક અશોક દવે, લોકગાયક અને લોકકળાના મર્મી શ્રી યોગેશ ગઢવી, સમાજસેવક અને જાણીતા લેખક અશોક દામાણી સહિત સેંકડો સંવેદનશીલ લોકો અને સ્મિતાબહેન શેઠના સ્વજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તકનું લેખન જાણીતાં પત્રકાર-લેખિકા તથા યોગ અભ્યાસી અનિતા તન્નાએ કર્યું હતું તો કાર્યક્રમનું સંચાલન પૉઝિટિવ પત્રકારત્વ માટે જાણીતા રમેશ તન્નાએ કર્યું હતું. અનિતા તન્નાએ કહ્યું કે આ પુસ્તક નવી પેઢી માટે પ્રેરક બનશે. આખો કાર્યક્રમ પ્રેમથી ભરેલો અને સંવેદનાથી છલકાતો બની રહ્યો હતો.
આ કાર્યક્રમમાં નવી પેઢીના ચાર ટીન-એજરે જે પ્રતિભાવ રજૂ કર્યો હતો તે અદભુત હતો. તૃપ્તિ શેઠ અને વિશાલ શેઠની બે દીકરીઓ (સ્મિતાબહેન શેઠની પૌત્રીઓ) મોસમ અને આર્યા તથા વૈશાલીબહેન અને પારસ કુમાર શાહના બે દીકરાઓ (સ્મિતાબહેન શેઠના દૌહિત્રો) પ્રથમ અને સિદ્ધાંતે સ્મિતાબહેન માટેની જે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી તેણે ત્યાં ઉપસ્થિત તમામ લોકોનું દિલ જીતી લીધું હતું. તૃપ્તિ શેઠ અને વિશાલ શેઠે સ્વાગત પ્રવચન કર્યું હતું. વિશાલભાઈએ સ્મિતા સુધીર ફાઉન્ડેશનનો ટૂંકો પરિચય આપ્યો હતો. પરિવારજનો તરફથી કમલેશભાઈ મહેતા પ્રકાશભાઈ શેઠ અને કવિશાબહેન શેઠે અત્યંત સરળતાથી સહજ રીતે સ્મિતાબહેન માટેનો ભાવ રજૂ કર્યો હતો. કમલેશકુમારે સ્મિતાબહેનના આરોગ્ય વિશે પણ ટૂંકમાં મહત્ત્વની માહિતી આપી હતી. લેખિકા અનિતા તન્નાએ પુસ્તક લેખનની સફરની રસપ્રદ વાત કરીને ઉમેર્યું હતું આ પુસ્તક ચોક્કસ નવી પેઢીને પ્રેરણા આપશે. તમામ વક્તાઓ ખૂબ સુંદર બોલ્યા હતા. દરેકે સ્મિતાબહેન શેઠ સાથેના પોતાના સંબંધની તથા તેમની સામાજિક નિસબતની સુંદર રીતે વાતો કરી હતી. દેશ-વિદેશથી આવેલા વિડીયો સંદેશ પણ રજૂ કરાયા હતા. કેટલીક સંસ્થાઓએ આ પ્રસંગે સ્મિતાબેન શેઠનું અભિવાદન પણ કર્યું હતું. કાર્યક્રમમાં આભારવિધિ વૈશાલીબહેન અને પારસકુમારે કરી હતી. આખો કાર્યક્રમ માણવાની ઉપસ્થિત તમામ લોકોને ખૂબ મજા આવી હતી.
આ વર્ષ સ્મિતાબહેન અને સુધીરભાઈના લગ્નજીવનનું પચાસમું વર્ષ હતું. સ્વજનોએ સમાજ-યુગલને તેની પણ વધામણી આપી હતી.
વરસાદી માહોલ હતો દસેક ટકા લોકો કદાચ વરસાદમાં પલડીને આવ્યા હતા, પરંતુ સભાગૃહમાં ઉપસ્થિત તમામ લોકો સોએ સો ટકા કાર્યક્રમને માણીને ભીંજાઈ ગયા હતા.