13/01/2026
વંદનીય પૂજ્ય મોરારિબાપુના પાવન હસ્તે વિશ્વાસ વિદ્યાલય અને પન્ના નાયક સંસ્કાર પરિસરનું ભાવ ભૂમિપૂજન થયું સંપન્ન !
સત્ય પ્રેમ કરુણા ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા ખાતે નેસડી રોડ પર પન્ના નાયક સંસ્કાર પરિસર અને નિર્માણાધીન વિશ્વાસ વિદ્યાલયનો ભાવ ભૂમિપૂજન મનોરથ તા. ૧૧ જાન્યુઆરીનાં રોજ ગરિમાસભર રીતે સંપન્ન થયો.
સત્ય પ્રેમ કરુણા ટ્રસ્ટ દ્વારા આ ભૂમિ પર વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવશે. જેમાં અનાથ દીકરીઓ માટે શાળા વિશ્વાસ વિદ્યાલય, આ દીકરીઓ માટેની હોસ્ટેલ “વિશ્રામ”, મહિલા ઉત્કર્ષ કેન્દ્ર “વામા” અને સેલેબ્રલ પાલ્સી ગ્રસ્ત બાળકો માટેની શાળા “વાત્સલ્ય”નું નિર્માણ કરાશે. આ તમામ પ્રકલ્પોમાં શિક્ષણ અને તાલીમ તદ્દન નિઃશુલ્ક આપવામાં આવશે.
પન્ના નાયક સંસ્કાર પરિસરમાં નિર્માણ પામશે વિશ્વાસ વિદ્યાલય. જે કોઈ દીકરીનાં માતાપિતા બંને અથવા માતા કે પિતામાંથી કોઈ એક હયાત ન હોય એવી દીકરીઓ માટેની શાળા. એમાં પધ્ધતિસરનું શિક્ષણ તો મળે જ, પણ સાથોસાથ જીવન શિક્ષણ મળે, એને જીવનના સંઘર્ષ માટે અડીખમ બનાવે એવું શિક્ષણ, એને પગભર પણ બનાવે પણ સંવેદનશીલ પણ બનાવે. તેઓમાં વૈદિક પરંપરાના સંસ્કારો કેળવાય ને સાથોસાથ રમતગમત, કલા, જીવન માટે આવશ્યક કૌશલ્યો પણ શીખવાય. આ શાળા અન્ય વ્યવસાયિક સંસ્થાઓની જેમ અત્યાધુનિક સગવડો ધરાવતી હશે. પણ અહી બધી જ સેવા નિઃશુલ્ક અપાશે.
બીજું ભવન "વિશ્રામ" હોસ્ટેલ તરીકે નિર્માણ પામશે તથા આ વિસ્તારની મહિલાઓના કૌશલ્યોને આકાશ આપવા તથા તેમને આત્મનિર્ભર બનાવવા મહિલા ઉત્કર્ષ કેન્દ્ર’ ‘વામા’ દ્વારા વિવિધ વોકેશનલ તાલીમ આપવામા આવશે. જે આ બહેનોને રોજગાર અપાવી શકે.
આ પ્રોજેક્ટના અંતિમ ચરણમાં સેલેબ્ર્લ પાલ્સી બાળકો માટેની એક શાળા બનશે “વાત્સલ્ય”. મંદ બુદ્ધિનાં બાળકો માટેની આ શાળા ઈશ્વર દત્ત ઉણપને વિશિષ્ટ શિક્ષણ અને તાલીમ દ્વારા નિવારવા અને આવા બાળકોને સામાન્ય જીવન જીવવા માટે પ્રેરિત કરાશે.
આ બધાં પ્રકલ્પો માટે ભૂમિદાન અને પ્રારંભિક અનુદાન અમેરિકા સ્થિત સુખ્યાત કવિ દંપતી નટવર ગાંધી અને પન્ના નાયક તરફથી પ્રાપ્ત થયું છે. ભૂમિ પૂજન પ્રસંગે આ દંપતીનું પૂ. મોરારિબાપુનાં વરદ હસ્તે સન્માન કરાયું હતું. કવિયત્રી પન્ના નાયકે સજળ નેત્રે પોતાનો સંતોષ અને પ્રસન્નતા પ્રગટ કરી હતી.
પોતાની પ્રસન્નતા અને આશીર્વચન પ્રગટ કરી પૂ. મોરારિબાપુએ સેવાની સાર્થકતા અને આવશ્યકતા પ્રગટ કરતાં જણાવ્યું હતું કે જીવનમાં સેવા અને સ્મરણ અતિ આવશ્યક છે. વ્યક્તિએ યુવાનીમાં શકયતમ સેવા અને વાર્ધક્યમાં થાય તેટલું સ્મરણ કરી લેવું જોઈએ. જ્યાં આવા સેવા યજ્ઞ મંડાય છે ત્યારે તેને આહુતિઓ પ્રાપ્ત થતી જ રહે છે એમ કહી બાપુએ ચિત્રકૂટધામ તલગાજરડા હનુમાનજીની પ્રસાદી સ્વરૂપે સંસ્થાને રૂ. ૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
આ સાત્વિક ઉપક્રમમાં વિશેષ અતિથિ તરીકે પૂજ્ય ભક્તિરામ બાપુ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સાહેબ, શ્રી રતિલાલ બોરીસાગર, ડો. ભદ્રાયુ વચ્છરાજાની, સુભાષ ભટ્ટ, નેહલ ગઢવી, છેલભાઈ વ્યાસ, શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટીમંડળ, મંદાકિનીબેન પુરોહિત, મનુભાઈ ગાંધી, મનીષ અજમેરા, જીતેન્દ્ર ચૌહાણ- ઝેડ બ્લુ, રૂપેશ વ્યાસ, પ્રવીણભાઈ તન્ના, નીલેશ વાવડીયા સહીત ગુજરાત અને ભારતભરમાંથી શિક્ષણ અને સાહિત્ય અને ઉદ્યોગ જગતના સ્વનામધન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમની સાર્થકતા માટે સત્ય પ્રેમ કરુણા ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ શ્રી હરેશ મહેતા, પ્રો. દિવ્યકાંત સૂચક, પ્રણવ પંડ્યા અને કિંજલ જોષીએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સુચારુ સંચાલન કિંજલ જોષીએ કર્યું હતું.